નિસર્ગ અને અમે
કાકાસાહેબ કાલેલકર ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં લખે છે, ”આ દુનિયામાં જો કંઈ શાશ્વત હોય તો તે છે ભૂતકાળ. પણ ભૂતકાળમાં પાછા જવા માટે ભૂત જેવા અવળા પગ જોઈએ!”
સવળા પગ સાથે અવળુ ચાલવાના પ્રયોગો અમે કરતા તે ભૂતકાળની આ વાત છે. ગામડાનું અમારું એ વિશ્વ સવારની તાજગીથી ભર્યું ભર્યું હતું. વિસ્મયના અશ્વને સાહસની પાંખો ફૂટે એ ઉંમર હતી. પુસ્તકોમાંની કવિતાઓ તો અમે પછી ભણ્યા. એ પહેલાં તો નિસર્ગનાં અદ્ભુત કાવ્યો જ જીવવા માંડેલા. તારા બની રાત આખી ટમટમવાની, વરસાદનાં ફોરાં બની શ્રાવણી મધ્યાન્હે ઝરમરવાની ને પંખી બની નિરાતે કલરવવાની કલ્પનાઓમાં મન રાચ્યા કરતુ. પ્રકૃતિના સામીપ્યે અમારા જીવન ઘડતરને એક વિશિષ્ટ આયામ આપ્યો છે.
પચાસેક વર્ષો પહેલાંના ગ્રામ્ય પરિવેશમાં ધબકતા સુખાનુભૂતિના એ દિવસોની સ્મરણપટ પર અંકાયેલી યાદો અમારા ભાવવિશ્વનો એક મૂલ્યવાન હિસ્સો બની ગઈ છે. જીવન વહેતું જાય છે તેમ જગતની ઠોકરો ખાતું ખાતું સંવેદન તંત્ર એવું તો બધિર બની જાય છે કે જીવનના સુક્ષ્મ આનંદોના તરંગો ઝીલવાનું સામર્થ્ય જ ગુમાવી બેસે છે. પછી તો વિશાળ આવાસો અને આધુનિક સગવડોના મોઘાદાટ આનંદો ય અલ્પજીવી નીવડે છે!
સુમસામ વગડાના સાત્વિક સ્વરૂપે અમને જબરજસ્ત મોહિની લગાડેલી. માનવીની દુર્વૃત્તિઓનો પડછાયો ન પડ્યો હોય તેવી ભૂમિનું દૈવત કંઈક ઓર હોય છે. પ્ રવાસ લેખિકા પ્રીતિ સેનગુપ્તા લખે છે: “રણની રેતીનાં મસૃણ આકારોમાં, જંગલોની હરિત-શ્યામ ગીચતામાં અને સાગરની કિનારે પહોચતી કોઈ છાલકમાં એટલી જ દૈવી ઉપસ્થિતિ છે જેટલી કે આપણે હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોપીએ છીએ.”
એ દિવસોમાં ઘરની પાછળનાં ખંડિયેરોને સ્પર્શતા લીલાંછમ ખેતરો અનંત ફલક પર વિસ્તરતાં. માનવવસ્તીથી દુર, ખેતરોના લહેરાતા પાક, ઢાળિયાનાં ખળખળ વહેતાં પાણી, ઘટાદાર ફળાઉ વૃક્ષો, હોલાના ગળામાંથી ઘુંટાઈને આવતું ઘુઘુઘુ, તેતરનાં ટોળાંની દોડાદોડ અને આકાશમાં સમડીના ચકરાવા વચ્ચે વહેતી અમારી બપોર. વચ્ચે વચ્ચે લેલાંની તોફાની ટોળી ધમાલ મચાવી જતી કે પોપટ- સૂડાની ગેંગ કોઈ શરારત કરીને પલાયન થઇ જતી. લહેરી જુવાન જેવો લીમડો, ખાનદાન પરિવારની ગૃહિણી જેવી રાયણ, જડ જેવો બાવળ કે ઠરેલ ગૃહસ્થ જેવો આંબો, એ બધાં અમારાં સ્વજનો. ગામના મુખી જેવા વડની અમે થોડી આમન્યા જાળવતા. પાગલની જેમ ખડ ખડ હસતો પીપળો તો અમને દુર જ રાખતો. ગમે ત્યાં ઉગીને ટકી રહેવાની એની પોતાની જીજીવિષા તો ખરી જ, સાથે યુગોથી ચાલી આવેલી સ્ત્રીજગતની તિતિક્ષા ય દોરા ધાગા બનીને તેના થડે વીંટળાતી. એક પગ પર ઉભેલા ઋષિની જેમ આ વૃક્ષો આકાશગમ પોતાની ડાળીઓ ફેલાવી જાણે કે ઈશ્વરને અર્ધ્ય અર્પતાં અને સતત ઈશ્વરસ્તવન કરતાં.
ધોમ ધખતા તાપમાં રચાયેલા પ્રકૃતિના માંડવે અમને આહલાદક શાંતિનો અનુભવ થતો. અનંત વિશ્વના કોઈ ખૂણેથી આવતાં સંવેદનો અમારા અંતરને શીતળતા બક્ષતાં. કદાચ, નજીકમાં તથાગત બુદ્ધ જેવા કોઈ મહાત્મા ધ્યાનસ્થ હોય કે પછી કોઈ ગરીબ ખેડુનું ખેતર સાચવવા ઈશ્વરનો ફરિશ્તો ઉભો હોય. અન્યથા આવી અને આટલી શાંતિ સંભવે શી રીતે?
વસંત અમારી પ્રિયતમ ઋતુ. એનાં પગલાં અમને ઇજન આપે; અમારાં હૃદય થનગનાટ અનુભવે. આંબાની ડાળે મૉર બેસે ને આમ્રકુંજોમાંથી કોયલના ટહુકા વહેતા થાય. મન નાચી ઉઠતું કે કાચી કેરીમાં જીરું અને મીઠુ- મરચું નાંખીને ખાવાના ખાટા, મીઠા ને તીખા દિવસો આવી રહ્યા છે!
ઘરના આંગણે આવતી પેલી લંગડી કાબરનો ઠસ્સો પણ ક્યાં ઓછો હતો! વાડાના લીમડા પર રોજ રાત્રીનિવાસ માટે આવતા બગલાનાં આસમાની ઝાંયવાળા ઈંડાં તો મોટેભાગે નીચે પડીને તૂટી જતાં. સંધ્યાના રંગો, લીમડા પર ઉડાઉડ કરતા બગલાના ટોળાનો અવાજ અને વાડામાં ચૂલા પર મુકેલી ખીચડીની સુગંધ એ બધું સાથે મળીને અમારા કિશોર મનને તરબતર કરી દેતું. બાપડાં પંખીઓ ક્યારેય ખોરાક મળ્યો કે ના મળ્યો તેની ફરીઆદ આપણને કરતાં નથી. બીમાર હોય તોય એમની ખબર કોણ પૂછે? ઝેરી જંતુનાશકોથી કાબર જેવાં ઘણાં પક્ષીઓનું નિકંદન નીકળી ગયું છે. ઘણાં વૃક્ષો અને છોડ હવે ભાગ્યે જ જોવા મળે છે. નાના શહેરમાં મળસ્કે જાવ તો ખબર પડે કે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં કેટકેટલાં વૃક્ષોની અડધી લટકતી લાશો પોતાનું વજન કરાવવાની રાહ જોતી ઉભી હોય છે! ક્યાં સુધી આપણે સંતાનો જ માતા પ્રકૃતિના ચહેરાને આમ વેરાન બનાવતા રહીશું? છતાંય, ધરતીના હૈયે શ્રદ્ધાના અંકુર, આશાની કુંપળો અને વાત્સલ્યની કળીઓ તો ફૂટતી જ રહે છે!
વીજળીએ આવીને ચાંદની રાતોનું અવમુલ્યન કરી નાખ્યું ના હોત તો ઉનાળાની અજવાળી રાતોની મઝા જ જુદી હતી. સાંજે જમીને પરવારીએ એટલામાં તો પૂર્વાકાશે તેજની ટશરો ફૂટી નીકળે. રાત ઢળતી જાય તેમ ચંદ્રમાના તેજપ્રભાવે આકાશ છવાતું જાય. વડીલો થાક્યાં-પાક્યાં હળવી વાતોમાં પરોવાય. ચંદ્રનાં તેજકિરણો પૃથ્વીને સ્પર્શે ને ફળિયાની ધૂળ પણ સોનેરી-રૂપેરી રંગે રંગાઈ જાય. ખુલ્લી હવા, નીરવ રાત્રી અને શીતલ ચાંદનીમાં અમે ઘરનાં નેવાં કે ઓશરીના પડછાયે ‘તડકો -છાંયો’ રમીએ. આજે હવે ક્યાં શોધવું એવું ‘વૈભવી’ જીવન? ભૌતિક સગવડોના કળણમાં એવા તો ફસાયા છીએ કે નવી પેઢીનું બાળપણેય છીનવી લીધું આપણે.
શિયાળો ભારે ઠંડી લઈને આવતો. પથારીમાંથી ઉઠવાનું મન જ ના થાય. રાતના અંધારામાં જન્મેલાં ઝાકળ બિંદુઓ સૂર્યકિરણોના સ્પર્શે અલ્પજીવી નીવડતાં. થીજી ગયેલી હવાનો હાથ પકડી, માઈલો દૂરથી પસાર થઇ રહેલી એક્ષ્પ્રેસ ટ્રેનનો મર્દાના ઘુઘવાટ અમને કહેતો જતો: ‘’ઉઠો ભાઈ, ઉઠો
કુદરતનો અભિગમ જુઓ. પશુ-પંખીઓ ખોરાક સંઘરતાં નથી અને છતાં આપણા કરતા વધારે તંદુરસ્ત હોય છે. એક વૃક્ષ બીજા વૃક્ષને પોતાની બાજુમાં ઉગવાનો અધિકાર આપી દે છે અને તેમને કદી કોર્ટે જવાનો દિવસ આવતો નથી. સૂર્ય અને ચંદ્ર કદી એકબીજાની હરીફાઈ કરતા નથી જેથી કોઈ જીતતું નથી કે કોઈ હારતું પણ નથી. સુનામી થકી મહાસાગરોનાં અથાગ જળરાશીને હચમચાવી નાખનાર પૃથ્વીને પોતાના પરીભ્રમણમાં અડધી સેકંડનોય ફેરફાર કરવાની છૂટ નથી!
‘શરીર-મન સ્વાસ્થ્ય’નાં ક્ષેત્રે યુરોપ અને નોર્થ અમેરિકામાં અગ્રણી ડો.દીપક ચોપરાના પુસ્તકોનો વિશ્વની ૩૫ ભાષાઓમાં અનુવાદ થયેલ છે. તેમના પુસ્તક “સફળતાના સાત આધ્યાત્મિક નિયમો”માં તેઓ લખે છે: Spending time in Nature will also give you access to the qualities inherent in the field of all possibilities: Infinite Creativity, Freedom and Bliss.
તમને પણ નથી લાગતું કે પ્રકૃતિ પાસે પાછા જવાના દિવસો આવી પહોંચ્યા છે?
ક્યાં ખોવાયુ બચપણ મારું ક્યાંક્થી શોધી કાઢો
મીઠા મીઠા સ્વપ્નાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇ લો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટૂકડા મુજને પાછા આપો….મુજને પાછા આપો….
કૈલાસ પંડિત
Excellent Natural description of Nature. This is what we experienced daily but did not appreciate until later in life.
LikeLike
By: pravindesai49 on એપ્રિલ 20, 2012
at 10:54 પી એમ(pm)
સુંદર મનનીય લેખ. બાળપણમાં મારા મોસાળે રજામાં જતો ત્યારે ગામડાની એ ઘેઘુર વડલો,સીમ, ખેતર અને માનવીના હેત ભરેલાં હૈયાં આજે વિદેશમાં વિચારવાના જ રહ્યા.
LikeLike
By: ઈશ્વર ર દરજી on એપ્રિલ 11, 2012
at 1:50 એ એમ (am)