Posted by: Shabdsetu | ઓગસ્ટ 10, 2012

અવતાર

અવતાર

આ પૃથ્વી ઉપર અવતરવા, શા માટે શોધ્યા કરે છે તું
રાજાના આવાસો યા જાદુઈ કારાવાસો
બ્રાહમણનો ઓછાયો કે પછી ક્ષત્રિયનો પડછાયો
તારે તો અવતાર જ લેવો છે ને?
તો લઇ લે પેલી ઝોપડપટ્ટીની બસ્તીમાં, એક અછૂત અભાગિયા અનાથ માણસનો
અને પછી જો…

અહીં મુલાયમ માખણ ચોરવા નહીં મળે
પસીનો પાડેલા પૈસા ચોરવા પડશે, પૈસા
દિનરાત દોડવું પડશે, બેવફા થઈ બદમાશ બનવું પડશે
અને પકડાઇ જઇશને…
તો માં ના વેલણની જગ્યાએ ડંડા મળશે ડંડા
પોલીસના ડંડા, ભલભલા નિર્દોષને ગૂનેગાર બનાવી દે એવા ડંડા

વાંસળી વગાડીને ગાયો અને ગોપીઓને તું ભલે ભરમાવી શક્યો
પણ અહીં તો ભલભલાને થાપ આપી તારે છેહ દેવા પડશે
ભક્તોએ ગાયેલી તારી અજબ લીલાની જગ્યાએ
હાથ ચાલાકીના ગજબ ખેલ કરી લોકોને લૂંટવા પડશે
કોઇની પ્યાસ તો કોઇની આશ ટૂંપાવવી પડશે
તો કોઇની ભૂખ કે કોઇની કૂખ પણ ઉજાડવી પડશે

અહીં જન્મતા જ સાપના કણાની જેમ ભાગવું પડશે
નહીં તો તીક્ષ્ણ આંખોથી વિંધાવું પડશે
શિકાર કરવો પડશે નહીતર, શિકાર બનવું પડશે
આ ખૂંખાર ટી-રેક્સનુ જંગલ છે સમજ્યો? અહીં જ બધા જ પ્રેડેટર.
અને એટલું ખાસ યાદ રાખજે
કે અહીં બધા જ કોરા હાથ લઇને જન્મે છે છાણના પોદળામાંના કીડાની જેમ!

બત્રીસ લક્ષણો તું, ત્રીસી પાર કરતા તો
રોગિસ્ત દમિયલ થઇને
ઘરડા ડોબાની જેમ ખાંસતો ખાંસતો
લોહીના ગળફા કાઢતો થઇ જઇશ
અહીં તું ચમત્કારો નહીં કરી શકે, ફક્ત અકસ્માતો જ થશે
જિંદગી અકસ્માતોનું બીજુ નામ છે અહીં!

અને જો તું ખરો મર્દનો બચ્ચો હોય ને તો ઓરતનો અવતાર લઇને બતાવ!

ત્યાં સુંવાળા ટોપલામાં વરસાદથી બચવા શેષનાગની છત્રી હતી નહીં?
અહીં ધોધમાર વરસાદમાં ધ્રૂજવું પડશે, ગંદી ગટરોમાં ગબડવું પડશે
અરે, કુમારી બનતા પહેલા તો કૌમાર્ય લૂંટાઇ જશે
દૈત્યો અને દુષ્ટોનો બહુ સંહાર કર્યો છે ને? અહીં આ કાળઝાળ બાજોના પંજામાંથી છટકી જો?
રહેંસી નાખશે તને, જીવતા જીવત ફાડી ખાશે
તારી નગ્નતાને ચૂંથશે અને ચૂંથાવશે, એક દિવસ માટે નહીં, પણ સેંકડો હજારો દિવસો સુધી

તારી યાચના અને યાતના સાંભળવા ચાલીના પત્થરો પણ નવરા નહીં હોય
તારી કોખમાંના પાંગરતા ગર્ભને તારે તારી જાતે જ બહાર ખેંચી કાઢવો પડશે
સૂક્કા કૂવા જેવી લાગણી વિહીન આંખો લઇને
તારે હસવું પડશે ને હસાવવું પડશે, નાચવું પડશે ને નચાવવું પડશે
તારા એ અચેતન દેહના ઉકરડામાં દુનિયા ભરની ગંદકી ભરવી પડશે
સત્તર વર્ષમાં તો તું સિત્તેર વર્ષ જીવી જઇશ અને આટલું ફાસ્ટ જીવતા તને નહીં આવડે…!

અને અખંડ બ્રહ્માંડનો સંચાલક તું, દાર્શનિક થઇ વિચારીશ
કે આ બધુ એક પાપી પેટનો ખાડો પૂરવા
તો સાંભળ,
પેટ પૂરવાની વાત તો બાજુએ રહી
પણ દિવાસ્વપ્ન જોવા માટે અહીં ઊંઘ પણ નહીં મળે સમજ્યો?
તું એક વખત અહીં જન્મી તો જો પછી અવતાર લેવાની ખો ના ભૂલી જાય તો મને કહેજે.

કિશોર પટેલ

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
વે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

જલન માતરી


Responses

  1. વાહ કિશોરભાઈ વાહ,

    Like

  2. જનમાનસમાંથી ધર્મ વિશેની સમજણ ઢીલી પડે, તેનું યોગ્ય રીતે આચરણ ન થાય ત્યારે તેમાં ગ્લાનિ આવે. પરિણામે ધર્મવિરુદ્ધનું આચરણ-એટલે કે અધર્મનો પ્રભાવ વધે અને જનમાનસમાં ધર્મની સાચી સમજણના અભાવે અધર્મને જ ધર્મ સમજી લોકો તેનું આચરણ કરવા લાગે. આધુનિક કાળની આલોચના કરીશું તો સ્પષ્ટ જણાઇ આવશે કે ધર્મનું પાલન નહીંવત્ છે.

    Like

  3. ખૂબ સંવેદનશીલ અને અસરકારક રચના, એ પણ વચન આપી ભુલી ગયો છે; આપણે માત્ર રાહ જ જોવાની

    Like

  4. krishna na jamanama je ghadayu hatu te yogyaj hatu. Ramna jamanama je ghadayu te pan yogyaj hatu. Saibaba kyan mehelma janmyahata ane have krishna avashe to jamanane yogya roopmaj avashe.
    Darek yug ma saru chej. Jevi drashti evi shrushti.
    Sorry! i dont have Gujarati key pad. it is up to you what you want to see in the world.

    Like

  5. પુરાણોના અવતાર એ વેદોના અવ્યક્ત તત્વનું વ્યક્ત સ્વરૂપ અને અધ્યારોપણ છે. અવતારનો ઉદેશ્ય આપણી માનવતાનું ઘડતર છે. આ શક્ય છે ફક્ત નિસ્વાર્થ કર્મથી અને સેવાથી, સેવા તેનમી જેઓનું શારીરિક, સામાજિક, બૌધિક અથવા આર્થીક સામર્થ્ય આપણાથી ઓછુ હોય. આનાથી દરેકનું આદ્યાત્મિક, સામાજિક, કૌટુંબિક અને વ્યક્તિગત ઘડતર થાય છે. આ સંદેશ ગીતાના કૃષ્ણનો જ નહિ, રામાયણના રામનો જ નહિ પરંતુ દરેક ધર્મોનો છે.

    આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે અવતારને તેના સંદેશ કરતા વધુ મહત્વ આપ્યું. આપણે તેની દિવ્યતા અને ભવ્યતાના ગાન અને ભાષણ કર્યા, પણ તેના સંદેશની અવગણના કરી. જો પરોબોમાં પાણી ન હોય પરંતુ ફક્ત સુંદર પ્યાલાનું જ પ્રદર્શન હોય તો તરસ કેવી રીતે છુપાય?

    કિશોરભાઈની રચનામાં આજ સંદેશ છે. જે સમાજે પાણી પાયા છે તે સમાજની ઉન્નતી દેખાયા વગર રહેતી નથી, ભલે એ સમાજમાં કોઈ પણ અવતાર ન થયો હોય. ત્યાં કૃષ્ણ વગર પણ કર્મયોગ હોય છે, રામ વગર પણ રામરાજ્ય હોય છે.

    Like

  6. nice and true

    Like

  7. ખુબ જ નકારાત્મક રચના.
    જે વાસ્તવિકતાથી હજારો ગાઉં ના અંતરે છે.
    આદર્શો થી દિશા સુચન મળે, પણ આવા નકારાત્મક કાવ્યો થી કોઈ ને જીવવા નું બળ ન મળે.
    કિશોર પટેલ ની આ રચના સિવાય ની રચનાઓ ખુબ સારી છે.

    Like

  8. બસ ખુદા તો એક છે આદિ ન એનો અંત
    સરોગત ન જોઈએ એને, એના કોઈ સર્જનનો.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: