માધવ રામાનુજ
‘હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…’
ફૂલ જેવી સુકોમળ લાગણીઓને કંડારીને કાગળ ઉપર ઉતારનાર માધવ રામાનુજ એક કવિ ઉપરાંત નવલકથાકાર, નાટ્યકાર, ટેલીફિલ્મ લેખક, બાળ સાહિત્યકાર, પત્રકાર અને ચિત્રકાર પણ છે.
કવિ માધવ રામાનુજનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૪૫ના રોજ ગામ પચ્છમ, જિ. અમદાવાદમાં થયો. શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં એપ્લાઈડ આર્ટનો અભ્યાસ કરીને એ જ કોલેજ શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં અધ્યાપક અને પછી પ્રિન્સીપાલ પણ બન્યા. અત્યારે કિડની ઇન્સ્ટીટ્યુટ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદમાં હ્યુમન રિસોર્સ વિભાગના વડા છે.
કવિના જ શબ્દોમાં કવિતા વિષે – “…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુક-નમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…
આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…
અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.
અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…
-કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે!”
કવિ શ્રી માધવ રામાનુજની કવિતાઓમાંથી ચૂંટેલી પંક્તિઓ :
એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈપણ કારણ વગર શૈશવ મળે!
——————————————
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે?
છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
પ્રીતિ શાહ
માધવ રામાનુજના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – કાવ્યપઠન
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને
કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર
પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
આમ કોઈ પૂછે તો કહી ના શકાય અને આમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર
ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર
કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર.
મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે
સુરેશ દલાલ
Really excellent taste of Gujarati literature. We really miss our beloved poet Shri Suresh Dalal Sir. Thanx to Shabdasetu.
LikeLike
By: Dilip Gor on સપ્ટેમ્બર 4, 2012
at 1:50 પી એમ(pm)