Posted by: Shabdsetu | ઓક્ટોબર 2, 2015

ગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો

Time

ગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો

જીવનમાં ત્રણ વસ્તુ કદાપિ પરત થતી નથી. એક વીતેલો સમય, બે મોંમાથી નીકળેલા શબ્દો અને ત્રણ આવેલી તક. આપણામાંથી ઘણા બધા ભારતને સ્વતંત્ર મળ્યા પછી જન્મ્યા છીએ. એટલે તેઓને ગાંધીયુગવાળા સમયમાં જીવવાની તક મળી નથી. મોહનદાસ કરમચંદ ગાંધી જેમને બધાં “ગાંધીબાપુ” ના હુલામણા નામથી બોલાવે છે, તેઓ જીવનપર્યંત દેશની આઝાદી માટે લડી, જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ ની ગોઝારી સાંજે ૫.૧૭ કલાકે છાતીમાં ત્રણ ગોળી ઝીલી, “હે રામ” ઉચ્ચારી ઢળી પડ્યા. દેશ આખો અશ્રુભીની આંખે હૈયાફાટ રુદન કરતો રહ્યો. વિશ્વ વિસ્મિત થઈ અહિંસાના પૂજારીની અંતિમ યાત્રા જોતું રહ્યું. મે ગાંધીબાપુને જોયા નથી પણ એમની અગણિત છબીઓ જોઈ છે. કેટલાંક ગાંધીજીવન પરના પુસ્તકો વાંચ્યા છે. ગાંધીજી વિષે ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે – “૨૪ વર્ષના છોકરા પાસે શું ગજબનાક હિમ્મત હતી. ૬ દિવસ પહેલાં જ દક્ષિણ આફ્રિકા આવ્યો હતો અને ટ્રેનમાં ટિકિટ ચેકરને કહી શકતો હતો કે આ મારી ટિકિટ છે, આ મારી સીટ છે, હું અહીં જ બેસીશ”. અને પછી આફ્રિકામાં શું શું થયું એની આપણને ખબર છે જ. ગુણવંત શાહે લખ્યું છે – “ગાંધીજીની કમર પર લટકતી ઘડિયાળ પર સેકન્ડના નહીં, સદીઓનાં નિશાન હતાં.” જાન્યુઆરી ૨૭, ૧૯૧૫ ને દિવસે ગોંડલના રાજવીએ પ્રથમવાર મોહંનદાસ કરમચંદ ગાંધી માટે “મહાત્મા” શબ્દ વાપર્યો હતો. ચાલો આજે આપણે એવા એ મોહન, ગાંધીજી, મહાત્માના જીવનમાં જુદા જુદા સમયે બનેલી ત્રણ ત્રણ જુદી જુદી મહત્વપૂર્ણ ઘટનાઓને યાદ કરીએ ગાંધીજી અને અન્ય લેખકોના લેખનમાથી વિણેલા મોતીઓનો ત્રણ ત્રણનાં ઘટકમાં સમન્વય કરી સંક્ષિપ્તમાં આ સંગ્રહલેખ તૈયાર કરી વાચકમિત્રો સાથે વહેંચવાનો પ્રયાસ છે.

ગાંધીજીને સૌથી વધારે પ્યારું હતું ત્રણ વાંદરાનું રમકડું. ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે.
(૧) પહેલો વાંદરો નામે કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં.
(૨) બીજો વાંદરો નામે મીઝારૂ(Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં.
(૩) ત્રીજો વાંદરો નામે ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે – ખરાબ બોલવું નહીં.

એવું કહેવાય છે કે બાળકેળવણી માતાના ઉદરમાંથી શરૂ થઈ જાય છે અને પછી વિકાસનો આધાર માતાપિતા તેમજ આસપાસના વાતાવરણ પર રહે છે. ગાંધીજી નાના હતા ત્યારે એમના માનસને સ્પર્શી ગઈ હતી એવી મુખ્ય ત્રણ પ્રેરણાદાયક બાબતો:
(૧) “ શ્રવણપિતૃભકિત નાટક” ના વાંચને શ્રવણ જેવા માતૃભક્ત અને પિતૃભક્ત થવાની ભાવના દઢ બનાવી હતી.
(૨) “સત્યવાદી હરિશ્ચંદ્ર” નાટકના ખેલે સત્યધર્મની ભાવના દઢ બનાવી હતી.
(૩) “શામળ ભટ્ટના છપ્પા” ના વાંચને ‘અવગુણ કેડે ગુણ કરે તે જગમાં જીત્યો સહી’ની ભાવના દઢ બનાવી હતી.
પિતાની માંદગી વખતે જુદા જુદા ધર્મના સાધુસંતો અને સદગૃહસ્થો મળવા આવતા હતા ત્યારે થતી ધાર્મિક ચર્ચાઓ સાંભળીને સર્વધર્મસમભાવ ના બીજ રોપાયા હતા

ત્રણ બાબતોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા:
૧૮ વર્ષની ઉંમરે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી આગળ વિદ્યાભ્યાસાર્થે હજારો માઈલ દૂર સપ્ટેમ્બર, ૧૮૮૮માં એક બાળકના પિતા ગાંધીજી, એકલા વિલાયત (યુ.કે॰) ગયા હતા ત્યારે એમની પાસેથી માતા પૂતળીબાઈએ ત્રણ બાબતો જેવી કે માંસ, દારૂ અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને પછી જ પરદેશગમનની આજ્ઞા આપી હતી. ગાંધીજી ભરયુવાનીમાં પણ ચોરીછૂપીથી માંસ, દારૂ કે સ્ત્રીસંગનું આચરણ કરીને જૂઠું બોલ્યા ન હતા અને માતાની આજ્ઞાનું પાલન જીવનપર્યંત કર્યું હતું.

કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું. પ્રેરણાબળ વિના ઉંચે ચઢી શકાય નહીં માટે મહાન પુરુષોના જીવનચરિત્રો વાંચવા જોઈએ. ગાંધીજી કરોડો લોકોના ગુરુ હતા પણ ત્રણ પ્રેરણાપુરુષો જેમને તેઓ પોતાના ગુરુ માનતા તે હતા – શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ), જ્હોન રસ્કિન અને લિયો ટોલ્સટોય.
(૧) શ્રીમદ્ રાજચંદ્ર: તેમના જીવંત સંસર્ગથી ધર્મમય અને અનેકાન્તવાદ જીવન જીવવાની પ્રેરણા મળી હતી. બ્રહ્મચર્ય પાલનના વિચારનું પ્રાધાન્ય પણ રાયચંદભાઈના પ્રભાવથી હતું.
(૨) જ્હોન રસ્કિન: રસ્કિન લેખિત “અનટુ ધિસ લાસ્ટ (સર્વોદય)” નામના પુસ્તક વાંચનથી સમાજીક ન્યાય, આદર્શ સમાજવ્યવસ્થા અને સાદું જીવન જીવવાની પ્રેરણા મળી હતી.
(૩) લિયો ટોલ્સટોય: ટોલ્સટોય લેખિત “ધ કિંગડમ ઓફ ગોડ ઈઝ વિથઇન યુ (વૈકુંઠ તારા હદયમાં છે)” નામના પુસ્તક વાંચનથી અહિંસાની અનિવાર્યતા અને શ્રમનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા મળી હતી.

ગાંધીજી એમના પુસ્તક “સર્વોદય દર્શન” માં લખે છે કે એમના જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર થયો હોય તો તે જહોન રસ્કિન લેખિત “અનટુ ધિસ લાસ્ટ” પુસ્તકને આભારી છે. એ પુસ્તકના ત્રણ મુદ્દાઓએ ગાંધીજીવન પર ઉડી અસર કરી હતી.
(૧) બધાંના ભલામાં આપણું ભલું રહેલું છે.
(૨) વકીલ કે વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઇએ. આજીવિકાનો હક સહુને એકસરખો છે.
(૩) શારીરિક શ્રમ કરવો શ્રેષ્ઠ છે. સાદું મજૂરીનું જીવન જ ખરું જીવન છે.

ગાંધીજીનું સાહિત્ય ત્રણ પ્રકારે ઉદભવ્યું હતું.
(૧) પત્રો દ્વારા: ગાંધીજી ત્રણ ભાષામાં લખતા અને બોલતા – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી.
(૨) ભાષણો દ્વારા: ૧૮૮૪ થી ૧૯૪૮ સુધીના જાહેર જીવન દરમ્યાન ગાંધીજીએ કરેલા ભાષણો અને લખેલા લખાણો તથા પત્રો, ગ્રંથમાળા રૂપે ભારત સરકારે પ્રગટ કર્યા છે. એનું નામ છે “ગાંધીજીનો અક્ષરદેહ”.
(૩) લેખો દ્વારા: ગાંધીજીની નિયમિત લેખન પ્રવૃત્તિ સાપ્તાહિકોમા હતી. આફ્રિકામાં વસવાટ દરમ્યાન ઇન્ડિયન ઓપિનિયન(૧૯૦૩), ભારતમાં યંગ ઇન્ડિયા(૧૯૧૯) તથા નવજીવન(૧૯૧૯) અને હરિજનબંધુ(૧૯૩૩) માં શરૂ કર્યાં હતાં.

ગાંધીજીના જીવનમાં ત્રણ રાતો એવી પણ હતી જ્યારે એમની ઉંઘ ઉડી ગઈ હતી.
(૧) “સત્યવાદી હરિશ્ચંદ્ર” નું નાટક જોયા પછી હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવાની ધૂન આખી રાત મનમાં ચાલેલી. એ નાટક પોતાના મનમાં કેટલીયે વાર ભજવેલું. એ સમયે એમની ઉંમર માત્ર ૭ વર્ષની હતી.
(૨) આફ્રિકામાં જૂન ૧૮૯૩ ની કડકડતી ઠંડીમાં રાત્રે સેન્ટ પીટર મેરીત્સબર્ગ રેલ્વેસ્ટેશન પર ગોરા રેલ્વે સત્તાવાળાએ ડબ્બામાંથી બહાર ફેંકી દીધા હતા તે રાતે. ગાંધીજીએ પોતાના હક માટે લડવું એવું નક્કી કર્યું, ત્યાર પછી કાળા ગોરાના રંગદ્વેષ સામે લડત ઉપાડી ત્યારે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.
(૩) એમના એક ગોરા મિત્ર મિ. પોલકે આપેલું “અનટુ ધિસ લાસ્ટ” પુસ્તક વાંચ્યા પછી. ઊંઘી નહોતા શક્યા. એ વખતે એમની ઉંમર ૩૫ વર્ષની હતી.

દક્ષિણ આફ્રિકામાં હિન્દુઓમાં ફાટી નીકળેલા મરકી દરમ્યાન ‘ઇન્ડિયન ઓપિનીયન’ ચાલુ રાખવા માટે ગાંધીજીના ઘણાં ગોરા મિત્રોમાના ત્રણ ખાસ મદદરૂપ મિત્રો:
(૧) આલબર્ટ વેસ્ટ: જોહનિસબર્ગમાં પોતાનો ધંધો છોડી ડર્બન જઈ નિરાધાર ‘ઇન્ડિયન ઓપિનીયન’ સંભાળ્યું હતું.
(૨) મીલી ગ્રેહામ પોલાક: ડૂબતા સાપ્તાહિક ‘ઇન્ડિયન ઓપિનીયન’ ને બચાવવા માટે જ્યારે ગાંધીજી ડર્બન ગયા હતા ત્યારે જોહનિસબર્ગની ઘણી જવાબદારી સ્વીકારી હતી.
(૩) ફાધર જોસફ ડોક: જ્યારે ગાંધીજી અને પોલાક જેલમાં હતા તે દરમ્યાન ‘ઇન્ડિયન ઓપીનિયન’ ના તંત્રી હતા.

ચંદ્રકાંત બક્ષી લખે છે કે હિન્દુસ્તાનના રાજકારણમાં ત્રણ આંદોલનો મહત્વનું સ્થાન ધરાવે છે:
(૧) બિહારના ચંપારણમાં ગળીનું ઉત્પાદન કરનારા ખેતમજદૂરોનું અંગ્રેજ પ્લાન્ટરો જે શોષણ કરતાં હતા એની સામે ગાંધીજીએ કૃષિ આંદોલન ચલાવ્યું અને રાષ્ટ્રીય ચેતના જાગ્રત થઈ. અહીં ગાંધીજીને રાજેન્દ્રપ્રસાદ મળ્યા.
(૨) ગુજરાતમાં ખેડાના ખેડૂતોએ દુકાળને કારણે ના-કરનું આંદોલન ચલાવ્યું અને સરકાર ચૂપચાપ ઝૂકી ગઈ. અહીં ગાંધીજીને વલ્લભભાઈ પટેલ મળ્યા. જેમને ગાંધીજીએ સરદારનું બિરુદ આપ્યું.
(૩) અમદાવાદના ટેક્ષટાઇલ મજદૂરોની ઔદ્યોગિક હડતાલ એ ત્રીજું આંદોલન. અહીં ગાધીજી ઉપવાસ પર ઉતાર્યા અને ચોથે દિવસે સમાધાન થયું.

૧૯૩૦ ની દાંડીકૂચ એટલે મીઠાના કાયદાનો ભંગ અને સ્વરાજયાત્રાનો પ્રારંભ. દાંડીકૂચની શરૂઆતમાં ગાંધીજીએ ભીષ્મપ્રતિજ્ઞા લીધી હતી કે “હું કાગડાકુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું.”
દાંડીકૂચની ત્રણ ઉપલબ્ધિઓ:
(૧) દાંડીકૂચથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા હતા. આ કૂચને યૂરોપ અને અમેરિકન સમાચારપત્રોએ વિગતવાર નોંધ લીધી હતી.
(૨) દાંડીકૂચ પછી રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
(૩) સૌથી મહત્વનું તો અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં.

નીચેના ત્રણ કારણોથી દાંડીકૂચ દરમ્યાન ગાંધીજીના સત્યાગ્રહની શક્તિનો પરિચય સૌને થયો હતો.
(૧) ૬૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે ૭૯ સત્યાગ્રહીઓ સાથે માત્ર ૨૪ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૨૪૧ માઇલની પદયાત્રા કરી હતી.
(૨) ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જનતાને એક કરવા માટે ૧૯૩૦નો નમક સત્યાગ્રહ અને દાંડીકૂચ મુખ્ય હતાં.
(૩) દાંડીકૂચથી દેશભરમાં નોંધનીય સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ હતી.

ગાંધીજી માટે ત્રણ મહાન વ્યક્તિઓ, આલબર્ટ આઈન્સ્ટાઈન, લૂઈ ફિશર અને જ્યોર્જ બર્નાર્ડ શોએ ઉચ્ચારેલા શબ્દો જોઈએ.
(૧) આલબર્ટ આઈન્સ્ટાઈન: આવનારી પેઢીઓ તો ભાગ્યેજ માનશે કે હાડમાંસનો બનેલો આવો માનવી આ પૃથ્વી પર હયાત હતો.
(૨) લૂઈ ફિશર: મરદાનગી એમની વીરાસત છે. સત્ય એમનો બોધ છે. પ્રેમ એમનું શસ્ત્ર છે. એમનું જીવન જ એમનું સ્મારક છે. હવે તેઓ ભારતના નહીં સમગ્ર માનવજાતિના છે.
(૩) એડવર્ડ થોમસન: હિંદની રાષ્ટ્રીય હિલચાલમાં ગાંધીજી જેવા પુરુષ તો એક જ થયા જેમણે હિંદના સ્ત્રીપુરુષના મનમાં એવી લાગણી ઉપજાવી કે અંગ્રેજો આપણાં સહોદર છે; આપણાં જેવા જ હાડમાંસ ને રુધિરવાળા છે.

ગાંધીજીને ત્રણ વ્યક્તિઓ સાથે દારુણ સંઘર્ષ થયો હતો.
(૧) હરિલાલ: ચાર પુત્રો પૈકીના જ્યેષ્ઠ પુત્ર સાથે.
(૨) મહમ્મદ અલી જીણા: પાકિસ્તાનનાં પહેલા વડાપ્રધાન સાથે.
(૩) સર વિન્સ્ટન લીઓનાર્ડ સ્પેન્સર ચર્ચિલ: ગ્રેટબ્રિટનનાં વડાપ્રધાન સાથે.

જાણવા જેવા ત્રણ આંકડાઓ:
(૧) ગાંધીજીએ પોતાના જાહેરજીવનના લગભગ ૭ વર્ષો જેલમાં ગુજાર્યા હતા.
(૨) આફ્રિકામાં કાળા ગોરાના રંગદ્વેષ સામે લડત લડવાનું નક્કી કર્યું ત્યારે ગાંધીજીની ઉમર માત્ર ૨૪ વર્ષની હતી.
(૩) ૧૩ વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. મોટા દીકરા હરિલાલના જન્મ વખતે ગાંધીજી ૧૮ વર્ષના હતા. ૩૧ વર્ષની ઉંમરે ૪ દીકરાના પિતા હતા. ૩૭ વર્ષની ઉમરે બ્રહ્મચર્યપાલનનો નિર્ણય લીધો હતો॰ ૭૩ વર્ષની ઉંમરે અંગ્રેજોને ‘હિન્દ છોડો’ની હાકલ કરી હતી.

દક્ષિણ આફ્રિકાની જાણવા જેવી બધી બાબતોમાંની ત્રણ:
(૧) જેલમાં હતા ત્યારે દરરોજ એકાદ કલાક કાઢી કેદીઓ માટે ગાંધીટોપી બનાવતા. ગાંધીજી ગાંધીટોપી પહેરતા ન હતા.
(૨) એમનું રહેઠાણ ટોલ્સ્ટોયફાર્મમાં હતું જે જોહનિસબર્ગથી ૨૧ માઇલના અંતરે આવેલું છે. જ્યારે જોહનિસબર્ગ જવાનું થતું ત્યારે ચાલતા જતા અને ચાલતા પાછા આવતા.
(૩) જેલમાં હતા ત્યારે પોતાના હાથે બનાવેલી ચંપલની જોડ જેલમાંથી છૂટતાં જનરલ સ્મટ્સને ભેટ આપેલી. ત્યાર પછી જનરલ સ્મટ્સે કહ્યું હતું કે “મે ઘણાં વરસ એ ચંપલ પહેર્યાં છે; જોકે મને લાગ્યું છે જ કે હું આવા મહાપુરુષના પગરખાંમાં ઊભો રહેવાને લાયક નથી.

‘નવજીવન ૧૯૨૫ – ૨૭’ માં પ્રકાશિત થયેલી ત્રણ ઉક્તિઓ:
૧) “મને મહાત્મા કહેનાર કે મારો ચરણસ્પર્શ કરનાર પર ઘાતકી ગુનાના આરોપસર કામ ચલાવવામાં આવવું જોઈએ. એવો કાયદો જો કોઈ કરાવે તો તે કાયદો પાસ કરાવવામાં મદદ કરવા હું તૈયાર છુ. જ્યાં મારો કાયદો ચાલે છે ત્યાં – એટલે કે આશ્રમમાં – તો તેમ કરવું ગુનો ગણવામાં આવે જ છે.”
૨) “સત્યને એટલેકે ઈશ્વરને છોડીને હિંદુસ્તાનનું ભલું નથી ચાહતો. કારણ, મને વિશ્વાસ છે કે જે માણસ ઈશ્વરને ભૂલી શકે છે તે દેશને ભૂલી શકે છે, માતાપિતાને ભૂલી શકે છે, પત્નીને પણ ભૂલી શકે છે.”
૩) “મારી આખી જિંદગીમાં મારા બોલવાનો અનર્થ થવા વિષે મને નવાઈ નથી રહી. દરેક અનર્થનો જવાબ આપવો પડે અને ખુલાસો આપવો પડે તો જિંદગી વસમી થઈ પડે. જ્યાં પ્રવુત્તિને ખાતર આવશ્યક હોય તે સિવાયના કોઈ પણ પ્રસંગે અનર્થોના ખુલાસામાં ન ઊતરવું.”

૩૧ મી જાન્યુઆરીએ જ્યારે રાજઘાટ પર ગાંધીબાપુની અંતિમક્રિયા થઈ રહી હતી ત્યારે ત્રણ પુત્રો રામદાસ, મણિલાલ અને દેવદાસ હાજર હતા. મોટા પુત્ર હરિલાલની કોઈજ ખબર ન હતી. કોણ જાણે ક્યાં હતા?

મારો જન્મ ગાંધીબાપુની હત્યા પછી થયો છે. પ્રાથમિક શાળામાં ‘એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો’ ગાતાં ગાતાં કાંતણકામ અને વણાટકામ કરવાની મને તક મળી છે. જ્યારે પણ મને પ્રાર્થનાસભામાં જતા ગાંધીબાપુનું સ્મરણ થાય છે ત્યારે મારા મોંમાંથી આહભર્યા ત્રણ શબ્દો નીકળી પડે છે.
હે રામ! નાથુરામ! કેમ આમ?

મનુ પટેલ

એણે જીવતાં રામ સદાય રટ્યા, એ તો ‘રામ’ વદીને વિદાય થયા.
લઘુ માનવમાં મહિમા ભરવા, નિજ લોહી અશેષ વહાવી ગયા.

જુગતરામ દવે


Responses

  1. khub saras lekh, abhinandan shri manu patel saheb ane shabdsetu ne…mari wall par share karu chhu…

    Like

  2. speechless!

    Like

  3. Gandhijina aatmane param shanti prbhu bakshe– e sivay biju shu kahi shakay.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: